ગુરૂ વિના જ્ઞાન નહી, ગુરુથી જગ ઉજીયાત. દીવો લઇ મળે નહી, એ તો અંતરમનની વાત.
ગુરુ પૂર્ણિમા આવી રહી છે. એ સંદર્ભે આ વાત અહી કરી રહી છું.
માત્ર પુસ્તકિયું જ્ઞાન આપે એને જ ગુરુ કહેવા ? ના. દરેકના જીવનમાં "માં' નું સ્થાન પ્રથમ ગુરુ તરીકેનું હંમેશા રહ્યું છે અને રહેશે. 'માં' જ છે જે આ દુનિયાના પ્રથમ દર્શન કરાવે છે. 'માં' જ છે જે જીવનમાં પ્રથમ શબ્દ બોલતા શીખવે છે. 'માં' જીવનનું જ્ઞાન આપે છે અને પિતા દુનિયાદારીની સમજણ આપે છે. બાળક જન્મીને મોટું થાય ત્યાં સુધીનું પ્રાથમિક જ્ઞાન માતા પિતા પાસેથી મેળવે છે. એ પછી એ સ્કુલે ભણવા માટે જાય છે. શિક્ષકો બાળકને પગભર થવા માટેનું જ્ઞાન આપી એને સક્ષમ બનાવે છે. એ સ્કુલનું શિક્ષણ અને પછી કોલેજનું શિક્ષણ, જે દરેકને પગભર થવા માટે જરૂરી છે.
આ તો થઇ દેખીતા શિક્ષણની વાત. પણ જીવનમાં એવી કેટલીય વ્યકિતઓ આપણને મળે છે જે કઈ ને કઈ શીખવી જાય છે. એક યા બીજી રીતે એ પણ ગુરુ જ થયા, જે જીવનનો બોધપાઠ શીખવી જાય છે.
અને હા, ખરેખર જીવન પાર ઉતરવા માટે એક આધ્યાત્મિક ગુરુની ભુમિકા ખુબ મહત્વની હોય છે, જે માણસને સાચા રસ્તે ચાલતા શીખવે છે, જે આધ્યાત્મિક ઉન્નતી તરફ લઇ જાય છે. આ ગુરુપૂર્ણિમા નિમિતે મારા જીવનમાં આવેલા એવા તમામ ગુરુજનો ને મારા હૃદયપૂર્વકના વંદન, જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મને જીવન જીવવામાં કે આગળ વધવામાં માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु, गुरु देवो महेश्वराय
गुरु साक्षात् परब्रह्म, तस्मै श्री गुरुवे नम: